top of page
  • Writer's pictureGTU

બહોળા પ્રમાણમાં રોજગારીની તકો ઊભી કરવા એમએસએમઈ સૌથી મહત્ત્વપૂર્ણ

અમદાવાદઃ બહોળા પ્રમાણમાં રોજગારીની તકોનું નિર્માણ કરવામાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો(એમએસએમઈ) ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવી શકે. ભારતમાં કુલ રાષ્ટ્રીય ઉપજમાં એમએસએમઈનું પ્રદાન 16 ટકા છે, જ્યારે જર્મની, સિંગાપોર, ચીન અને તાઈવાનમાં તેનો ફાળો 70 ટકા છે. ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (જીસીસીઆઈ) આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારને વિશેષ એમએસએમઈ બૅન્ક સ્થાપવાની ભલામણ કરશે. જેનાથી નાના અને મધ્યમ સ્તરના ઉદ્યોગોને આસાનીથી લોન મળી રહે, એમ જીસીસીઆઈના સિનીયર વાઈસ પ્રેસિ઼ન્ટ શ્રી શૈલેષ પટવારીએ જણાવ્યું હતું.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના સેન્ટર ફોર ફાઈનાન્શિયલ સર્વિસીઝ તરફથી આયોજીત આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભારતીય અર્થતંત્રનો વિકાસ અને રોજગારીની તકોના નિર્માણમાં મેઈક ઈન ઈન્ડિયા, ડિજીટલ ઈન્ડિયા, સ્ટાર્ટ અપ ઈન્ડિયા અને સ્કીલ ઈન્ડિયાની ભૂમિકા વિશે તેમણે વક્તવ્ય આપ્યું હતું. એમએસએમઈ માટે હેલ્પ ડેસ્કની સ્થાપના કરવા બદલ શ્રી પટવારીએ ગુજરાત સરકારની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે જીસીસીઆઈમાં પણ અમે સ્ટાર્ટ અપ ઈન્ડિયા ડેસ્કની રચના કરી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે સ્પર્ધાના આ જમાનામાં ઉત્પાદનોની ગુણવત્તા ખાસ અગત્યની બાબત છે. પેટ્રોલિયમ, સિરામીક્સ, હીરા-ઝવેરાત, કેમિકલ્સ, ફાર્માસ્યુટીકલ્સ, મીઠું વગેરેના ઉત્પાદનની બાબતમાં ગુજરાત અગ્રેસર છે. જીડીપીમાં તે બધાનો 65 ટકા હિસ્સો છે. આપણા કુટિર ઉદ્યોગોને બચાવવા ચીનના ફટાકડા, દિવડા કે એવી અન્ય ચીજવસ્તુઓનું વેચાણ અટકાવવું જોઈએ. બીજી બાજુ આપણો કાપડ ઉદ્યોગ પણ રોજગારીની તકો મોટા પ્રમાણમાં પૂરી પાડતો હોવાથી તેને પ્રોત્સાહન આપવું જોઈએ. શાળાના સ્તરથી શિક્ષણના ક્ષેત્રમાં સુધારાવધારા કરવા પર ભાર મૂકતા તેમણે ઉમેર્યું હતું કે શિક્ષકોને તાલીમ આપવી જરૂરી છે. વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલ જાણકારી મળે તેના માટે ઔદ્યોગિક એકમોની મુલાકાતો ફરજીયાત બનાવવા બદલ તેમણે જીટીયુની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે ઉદ્યોગ જગતમાં પણ ઘણા એકમોએ જીટીયુના વિદ્યાર્થીઓએ કરેલા સૂચનોને અમલમાં મૂક્યા છે.

પરિષદમાં જીટીયુની મેનેજમેન્ટ ફેકલ્ટીના ડીન તથા સી.કે. શાહ વિજાપુરવાલા ઈન્સ્ટીટ્યુટ ઑફ મેનેજમેન્ટના ડિરેક્ટર ડૉ. રાજેશ ખજુરીયાએ રોજગારીની તકોના નિર્માણ સામેના પડકારો અને સમસ્યાઓ વિશે વાત કરી હતી. તેમણે તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠના યુગથી ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીની જમાના સુધીની કેળવણીપ્રથાની છણાવટ કરી હતી. પરિષદમાં ભુતાનની રોયલ યુનિવર્સિટીના પ્રોફેસર શુભ્રો ગોમ્સે વિદ્યાર્થીઓને સુખી જીવન માટે કાળજી, દૃઢ નિર્ધાર અને કાર્યાન્વયનની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં વિકાસદર વધી રહ્યો છે, પણ તેની સાથે માથાદીઠ આવક વધે, ગરીબી ઘટે અને ખુશી વધે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તો જ અવિરત વિકાસ શક્ય બને. હિન્દી ફિલ્મોની જેમ બધે હેપ્પી એન્ડીંગ એટલે કે વાર્તાનો સુખદ અંત હોતો નથી. જનતા પોતાના મગજનો યોગ્ય ઉપયોગ કરીને તંદુરસ્તી તથા સમૃદ્ધિ મેળવી શકે છે. હકીકતમાં પરોપકારી જીવન એ જ ખરું જીવન, એવો મંત્ર તેમણે આપ્યો હતો.

આ પ્રસંગે જર્મનીની વિઝમાર યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. ઈન્ગો એ.આર.મુલર થા અર્ડ લેમર ઈન્ડિયા કંપનીના મેનેજીંગ ડિરેક્ટર શ્રી એસ. રાજારામે પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. દેવ સોલ્ટ કંપનીના ચેરમેન શ્રી ડી.એસ. ઝાલાએ પરિષદને સંબોધતા કહ્યું હતું કે ભારતીય યુવાપેઢી એ જ આપણા દેશની અસલી તાકાત છે. મેઈક ઈન ઈન્ડિયા, ડિજીટલ ઈન્ડિયા, સ્ટાર્ટ અપ ઈન્ડિયા અને સ્કીલ ઈન્ડિયા વડે રોજગારીની વિપુલ તકોનું સર્જન થવાનું છે. આવા સંજોગોમાં યુવાનોને હુંફ અને સમજાવટની જરૂર છે. આંદોલનો થાય ત્યારે સરકારી એટલે કે સાર્વજનિક મિલકતોને નિશાન બનાવવાની માનસિકતામાંથી બહાર લાવવાની જરૂર છે. આપણે કહીએ છીએ કે ભણતર મહત્ત્વનું છે, પણ હકીકતમાં ભણતરની સાથે ગણતર પણ અગત્યની બાબત છે. શ્રી જી.ડી.બિરલા હોય કે શ્રી ધીરુભાઈ અંબાણી તેઓના ઉદાહરણ આપણી સામે છે. ઉદ્ઘાટન સમારોહના પ્રારંભે જીટીયુના ડિરેક્ટર ડૉ. પંકજરાય પટેલે બધાનું સ્વાગત કર્યું હતું. જીટીયુની એસએમઈ નર્સરીના માનદ નિયામક તથા સોમ-લલિત ઈન્સ્ટીટ્યુટ ઑફ મેનેજમેન્ટના ડિરેક્ટર ડૉ. જગદીશ જોશીપુરાએ આભારવિધિ કરી હતી. આ પરિષદ બે દિવસ ચાલશે અને તેમાં વિદ્યાર્થીઓ તથા પ્રોફેસરો પોતાના સંશોધન અભ્યાસ પેપરો રજૂ કરશે.

nps_5183
nps_4978

Comments


bottom of page